પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના હિમ્મતભર્યા ઐતિહાસિક નિર્ણય બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી

Line

આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ કોબા, ગાંધીનગર ખાતે  પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, આજનો દિવસ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ બની રહેશે. આપણો દેશ ૧૯૪૭માં આઝાદ થયો હતો પરંતુ જમ્મુ અને કશ્મીરને આજે સાચા અર્થમાં આઝાદી મળી છે. આશરે ૭૦ વર્ષથી વધારે સમયથી કશ્મીરના વિકાસમાં અવરોધરૂપ એવી કલમ-૩૭૦ હટાવવા માટે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના મજબૂત રાજકિય ઇચ્છાશક્તિ દર્શાવતા હિમ્મતભર્યા ઐતિહાસિક નિર્ણય બદલ સમગ્ર ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

શ્રી રૂપાણીએ જણાવ્યુ હતુ કે, ગઇકાલે રાજ્યસભામાં પસાર થયેલ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવતું બીલ આજે લોકસભામાં પણ ૩૭૦ કરતા વધારે સાંસદોના સમર્થન સાથે પસાર થતાની સાથે જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ સર્જાયો છે અને ઠેર-ઠેર દેશની જનતા જનાર્દન આ નિર્ણયને આવકારતાં સ્વયંભૂ ઉજવણી કરી રહી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની સરકાર દેશના સર્વભૌમત્વ, એકતા, અખંડિતતાને મજબૂત બનાવતા નિર્ણયોની સાથે સાથે દેશના પ્રત્યેક ખૂણે ખરા અર્થમાં વિકાસ થાય તે માટે અથાગ પરિશ્રમ કરી રહી છે. આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારે જમ્મુ અને કશ્મીરમાં ૩૭૦ની કલમમાં ફેરફાર કરીને શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ અને ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીના સ્વપ્નને સાકાર કરીને સાચા અર્થમાં તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરી છે.

શ્રી રૂપાણીએ જણાવ્યુ હતુ કે, ભૂતકાળમાં ગાંધી-સરદારની જોડીએ દેશને નેતૃત્વ પુરુ પાડ્યુ હતુ તે જ રીતે આજે ગુજરાતની મોદી-શાહની જોડી સમગ્ર દેશને નેતૃત્વ પુરુ પાડી રહી છે અને રાષ્ટ્પ્રથમની ભાવના સાથે દેશની સુરક્ષા અને જનસુખાકારી માટે એક પછી એક અતિમહત્વના નિર્ણયો લઇ રહી છે તે સમગ્ર ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ બાબત છે.

આઝાદી બાદ દેશના એકીકરણ સમયે જુનાગઢ અને હૈદરાબાદને ભારતમાં સમાવવાની જવાબદારી શ્રી સરદાર વલ્લભભાઇના શીરે આવી હતી જે તેઓએ બખૂબી નિભાવી હતી અને બંને ક્ષેત્રોને દેશમાં સંમિલિત કર્યા પરંતુ કોંગ્રેસના જવાહરલાલ નેહરુ જમ્મુ અને કશ્મીરના પ્રશ્નનો નિકારકરણ લાવવામાં અસક્ષમ નિવડ્યા અને ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ માત્રને માત્ર વોટબેંકની રાજનીતિ ખાતર કશ્મીરના પ્રશ્નને યથાવત રાખ્યો તેના કારણે જ જમ્મુ અને કશ્મીરમાં ૪૧ હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દેશભક્તિની વાતમાં પણ વોટબેંકની રાજનીતિ કરનાર કોંગ્રેસને દેશની જનતા ક્યારેય માફ નહી કરે.

આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવવાના નિર્ણયથી સ્વતંત્રતાના ૭૨ વર્ષ બાદ આજે સમગ્ર દેશ આઝાદી મેળવ્યા બાદ પુનઃઆઝાદ થયો હોય તેવી અનુભૂતિ કરી રહ્યો છે તે બદલ હું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને ગુજરાત ભાજપા વતી હદયપૂર્વક અભિનંદન પાઠવું છું.

શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયથી હવે ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીના સ્વપ્નના ભારતનું નિર્માણ થયું છે ત્યારે દેશમાં ‘‘એક વિધાન એક પ્રધાન અને એક સંવિધાન’’ પ્રસ્થાપિત થયા છે. આજનો ઐતિહાસિક દિવસ ભારતના સ્વર્ણિમ ઇતિહાસનો એક મહત્વપૂર્ણ અધ્યાય બનશે, આ નિર્ણય નિશ્ચિત રૂપથી આદરણીય ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીને એક સાચી શ્રદ્ધાંજલિ છે.

શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, રાષ્ટ્ર પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના એકીકરણનું જે સ્વપ્ન જોયું હતું તે આજે સાકાર થયું છે. શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના રાષ્ટ્રના એકીકરણ માટેના હાથ ધરાયેલા અનેક પ્રયાસો આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા મૂર્તિમંત થયા છે. આજે ખરા અર્થમાં જમ્મુ-કાશ્મીરનો પુનર્જન્મ થયો છે, જમ્મુ-કાશ્મીરના નાગરિકોને પણ દેશના અન્ય રાજ્યોની જેમ જ વિકાસશીલ પ્રવાહમાં સામેલ થવાનો લાભ મળશે. જમ્મુ-કાશ્મીર દેશની મુખ્ય ધારા સાથે જોડાઇ દેશના અન્ય રાજ્યોની જેમ વિકાસપથ પર આગળ વધશે.

શ્રી વાઘાણીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની ભાજપાની સંવેદનશીલ અને પ્રમાણિક રાજ્ય સરકારને સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન પાઠવ્યતા હતા અને જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી ક્ષિતિજો સર કરશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.

ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ ફટાકડા ફોડી ‘‘ભારત માતા કી જય’’ અને ‘‘વંદે માતરમ્’’ના નાદ સાથે ૩૭૦ની કલમ હટાવવાના નિર્ણયને આવકારી ઉજવણી કરી હતી.

ભાજપા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, સંગઠન પર્વ-૨૦૧૯ અંતર્ગત હાલ ભાજપાનું સદસ્યતા વૃધ્ધિ અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ‘‘રાષ્ટ્રપ્રથમ’’ની વિચારધારા અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઇને સૌ સ્વેચ્છાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ વિસનગર નગરપાલિકાના પ્રમુખ સહિત કોંગ્રેસ અને વિકાસ મંચના સભ્યોને ભાજપાનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. ભાજપા પ્રદેશ મહામંત્રીશ્રી કે.સી.પટેલ, વિસનગરના ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઇ પટેલ તથા મહેસાણા જીલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ કોબા, ગાંધીનગર ખાતે મહેસાણા જીલ્લાની વિસનગર નગરપાલિકાના પ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ તથા સભ્યો ભાજપામાં જોડાયા હતા.

શ્રી પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આજરોજ વિસનગર નગરપાલિકાના કુલ ૨૧ સભ્યો ભાજપામાં જોડાતા ભાજપાની સભ્ય સંખ્યા ૨૮ પર પહોંચી છે. તેથી હવે વિસનગર નગરપાલિકામાં પણ ભાજપાનો ભગવો લહેરાયો છે.

#8YearsOfSeva

#8YearsOfSeva

May 30, 2022
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top